સેવા સમર્પણ સદભાવના
મા ઉમિયાની ઉત્પત્તિ
મા ઉમિયાની ઉત્પત્તિ-પ્રથમ અવતાર
સૃષ્ટિની રચના માટે શિવ તત્વએ સતીને પ્રગટ કર્યા. સતીએ દક્ષ પ્રજાપતિના ત્યાં જન્મ લીધો. તેઓનાં ભગવાન શિવ સાથે લગ્ન થયાં. દક્ષજીને જમાઇ શિવ પ્રત્યે અભાવ થયો હોવાથી તેમના અપમાન માટે યજ્ઞ કર્યો અને શિવને આમંત્રણ ન આપ્યું. સતી પિતાજીને ત્યાં યજ્ઞમાં વગર આમંત્રણે ગયાં. તેમનું તથા ભગવાન શિવનું અપમાન થયું. તે સહન ન થતાં સતીએ પોતાની જાતને યજ્ઞકુંડમાં હોમી દીધી. ભગવાન શંકર આથી કોપાયમાન થયાં. સતીના શબને કાંધે લઇ તાંડવ કરવા લાગ્યા. હાહાકાર મચ્યો. સૃષ્ટિને બચાવવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્ર દ્વારા સતીના અંગના એકાવન ભાગ કર્યા. તે જ્યાં પડયો ત્યાં શકિતપીઠ બની.
મા ઉમિયાની ઉત્પત્તિ-બીજો અવતાર
સતીએ પોતાની કાયાને યજ્ઞકુંડમાં હોમતાં પહેલા બીજા અવતારે પણ ભગવાન શિવ પતિ તરીકે મળે તેવી કલ્પના કરી. સતીના ગયા પછી શિવ વૈરાગી બન્યા. સૃષ્ટિ પર તારકાસુરનો ત્રાસ વધ્યો. બ્રહ્માજીના વરદાનથી માત્ર શિવના પુત્રથી જ તે મરે-તેવું વરદાન મેળવ્યું. શિવને દેવોએ સર્વજન હિતાય લગ્ન માટે તૈયાર કર્યા. સતીએ હિમાલય અને મેનાના ત્યાં બીજો અવતાર લીધો. અને પાર્વતી- ઉમા તરીકે ઓળખાયાં. કઠિન તપ ર્ક્યું. શિવ સાથે લગ્ન થયાં. તેમના પુત્ર કાર્તિક (સ્કંદ) દ્વારા તારકાસુર હણાયો.
મા ઉમિયા દ્વારા પાટીદારોની ઉત્પત્તિ- કુળદેવી મા ઉમિયા
ભગવાન શિવ રાક્ષસ હણવા ઉમા સાથે ગયા. સરસ્વતી તીરે ઉમાને ઉતાર્યા. ઉમાએ માટીનાં બાવન પૂતળા બનાવ્યાં. ભગવાન શિવે આવીને સજીવન ર્ક્યાં. જે કડવા પાટીદારોની બાવન શાખના મુળપુરુષો થયા. મા ઉમા કડવા પાટીદારોના કુળદેવી બન્યાં. તેમને સુખી, સમૃધ્ધ અને આબાદ થવાના અને જ્યારે યાદ કરશે ત્યારે સહાય કરવાના આશીર્વાદ આપ્યા. ભગવાન શિવે ઉમાપુર ખાતે મા ઉમાની સ્થાપના કરી.
અખંડરૂપે મા ઉમિયા
મા ઉમિયાના દેહના ભાગોમાંથી એકાવન શક્તિ પીઠ બની. જ્યારે બીજા અવતારે ઊંઝા ખાતે માની સ્થાપના શિવે કરી, જે તેમનું અખંડ સ્વરૂપ છે. શરીરના ભાગની કોઇ શક્તિપીઠ નથી. જેની આરાધનાથી સર્વની મનોકામના પૂર્ણ થાય છે.
બીજી પૌરાણિક કથા- પાટીદારો લવ- કુશનાં વંશજો
સીતાજી મા ઉમિયા - ગૌરીની પૂજા કરતાં, જનક ઉદ્યાનમાં રામચંદ્રજી સાથેના પ્રથમ મિલને પતિ તરીકે મેળવવાની કામના માના આશીર્વાદથી પૂર્ણ થઇ. તેઓ ધરતીમાં સમાયાં ત્યારે લવ- કુશને મા ઉમાને સોંપ્યા હતા. ત્યારથી તેઓ મા ઉમિયાની પૂજા કરતા આવ્યા છે. તેમના વંશજો પણ મા ઉમિયાની પૂજા કરતા આવ્યા છે. સીતા માતા પણ જનકવિદેહીને ખેતર ખેડતા મળ્યાં હતાં. જનકવિદેહી પ્રથમ કૃષિકાર(ખેડૂત) જણાઇ આવે છે. પાટીદારો પણ ખેતી સાથે જોડાયેલા છે. મા ઉમિયાનું વાહન પણ નંદી છે, જે પણ ખેતીનો મૂળ આધાર છે. આમ પાટીદારોનો રામચંદ્ર-સીતાજી, લવ-કુશ સાથે નાતો જણાઇ આવે છે. પાટીદારો ક્ષત્રિય હતાં અને તેમની કુળદેવી મા ઉમિયા જ છે.
એતિહાસિક સંદર્ભમાં પાટીદારોની ઉત્પત્તિ
પાટીદારો આર્યા છે. મધ્ય એશિયામાંથી પંજાબ આવ્યા. ત્યાંથી સારાં જમીન પાણી જોઇ જુદા જુદા વિસ્તારમાં ફેલાયા. પંજાબમાં યુધ્ધો અને સંધર્ષથી કંટાળી રાજસ્થાન થઇ ગુજરાત વસ્યા. બીજી બાજુ ગંગા જમનાનાં મેદાનો દ્વારા યુ.પી, બિહાર, નેપાળ સુધી ગયા. કેટલાક મધ્યપ્રદેશ થઇ, મહારાષ્ટ્રથી છેક તમિલનાડુ સુધી ફેલાયા. ગુજરાતમાં જમીનની પાટીધારણ કરનાર “પાટીદાર” બન્યા. ગાયકવાડીમાં ખેતીના પટ રાખનાર “પટેલ”નો હોદ્દો મેળવતો. યુ.પી. ખાતે કુર્મિક્ષત્રિય તરીકે ઓળખાતી આ જાતિ કુર્મિમાંથી કુલમી-કુનબી-કણબી થયા. આ કોમ ક્ષત્રિયમાંથી ખેતી-પશુપાલન કરનાર “પાટીદાર” અને પછીથી “પટેલ” બન્યા. તેઓ જ્યાં ગયા ત્યાં મા ઉમિયાની પૂજા કરતા રહ્યાં. પંજાબથી આવવાથી પંજાબના ગામોના નામ પરથી અટકો ધારણ કરી.
દા.ત. મોડલેહથી મોલ્લોત, રોહિતગઢથી રૂસાત, અવધથી અવધિયા, કનોજથી કનોજીયા વગેરે.
રાજા વ્રજપાલસિંહજી અને ઊંઝાનું મંદિર
યુ.પી., બિહારની સરહદે માધાવતીના રાજા વ્રજપાલસિંહજી મહેત દેશના રાજા ચંદ્રસેન સામે યુધ્ધમાં હાર્યા. ત્યાંથી પોતાના રસાલા સાથે ગુજરાત આવ્યા. માતૃશ્રાધ્ધ માટે સિધ્ધપુર આવ્યા. અહીં તેમને પોતાના સ્વજાતિ બંધુઓનો મેળાપ થયો. તેમને આગ્રહથી અહીં ઊંઝા રોકયા અને સ્થાયી થયા. રાજા વ્રજપાલસિંહજીએ ઇ.સ.૧૫૬ સંવત ૨૧૨ માં મા ઉમિયાનું મંદિર બનાવ્યું અને મોટો હવન કર્યો.
વેદકાળથી મા ઉમિયાની પૂજા
ઇ.સ. પૂર્વે ૧૨૫૦ થી ૧૨૦૦ના સમયગાળામાં પાટીદારો ગુજરાત આવી વસ્યા. સાથે મા ઉમિયાની પૂજા ચાલુ રાખી. વેદોમાં ધન - ધાન્ય અને સમૃધ્ધિની દેવી તરીકે પૂજાતી ઉષાદેવી તે જ ઉમાદેવી છે. ઊંઝામાં મા ઉમિયાનું મંદિર બન્યું. ત્યાં દર આસો સુદ-૮ના રોજ “પલ્લી” ભરવાનું પણ ચાલું રાખ્યું. ઊંઝા આસપાસના ગામોમાં પણ પલ્લીઓ ભરાય છે.
મા ઉમિયાનું મંદિર
દંતકથા પ્રમાણે મા ઉમિયાની સ્થાપના ઊંઝા ખાતે ખુદ ભગવાન શંકરે કરી હતી. ઇ.સ.૧૫૬ સંવત - ૨૧૨ માં રાજા વ્રજપાલસિંહજીએ મંદિર બાંધ્યું. રાજા અવનીપતે સવા લાખ શ્રીફળના હોમ સાથે કુવા બનાવી ઘી ભરી હોમ કરી મોટો યજ્ઞ કરેલો. વિ. સંવત ૧૧૨૨/૨૪ માં વેગડા ગામીએ મંદિર બાંધ્યું. જે વિ.સં.૧૩૫૬ આસપાસ અલાઉદ્દીન ખીલજીના સુબા ઉલુઘખાને તોડયું. તે મંદિર હાલ મોલ્લોત વિભાગમાં શેષશાયી ભગવાનની જગ્યા છે, ત્યાં હતું. માતાજીની મૂર્તિને મોલ્લોતોના મોટા મઢમાં સાચવી જ્યાં આજે ગોખ છે, તે જ માતાજીનુ મુળ સ્થાન છે. અહીં આસો સુદ - ૮ના રોજ પલ્લી ભરાય છે. અહીં જેઠ સુદ-૨ના હેલખેલના હળોતરા, ભતવારી તથા શુકન જોવાતા.
હાલનું મંદિર વિ.સંવત ૧૯૪૩ ઇ.સ.૧૮૮૭માં જીર્ણોધ્ધારથી કડવા પાટીદાર સમાજના ઘર ઘરના ફાળાથી બન્યું. આ મંદિરનું બાંધકામ શરૂમાં શ્રી રામચંદ્ર મનસુખલાલે, ત્યાર બાદ રાવ બહાદુર બેચરદાસ અંબાઇદાસ લશ્કરીએ બાંધ્યું. જેમાં ગાયકવાડ સરકારે અને પાટડી દરબારે ફાળો આપ્યો હતો. મંદિરના તા.૬/૨/૧૮૮૭ ના વાસ્તુપૂજનમાં ગાયકવાડના પ્રતિનિધિ હાજર રહી, માતાજીને કિંમતી પોશાક ભેટ આપ્યો હતો. અને શ્રી બેચરદાસ લશ્કરીનું પણ સન્માન ર્ક્યું હતું. તે વખતે શ્રી નાગરદાસ ઉગરદાસ પટેલ મોલ્લોત અને શ્રી કુશળદાસ કિશોરદાસ રૂસાતે સોનાનું શિખર ચડાવવાનો રૂ.૨૦૦૦/- માં ચડાવો લીધો હતો.
તે બાદ ઇ.સ. ૧૮૯૫માં માન સરોવર બંધાયું. મંદિરના બાંધકામમાં શ્રી બેચરદાસ લશ્કરીની આગેવાનીમાં એક પંચની નિમણુક કરી. આ બાંધકામનો શિલાલેખ તથા માનસરોવરના બાધકામનો શિલાલેખ સંસ્થામાં છે.
No comments:
Post a Comment